32
અલિહૂનાં મંતવ્યો 
 1 પછી આ ત્રણ મિત્રોએ અયૂબને જવાબ આપવાનું બંધ કર્યું, કારણ કે અયૂબ તેની પોતાની નજરમાં ન્યાયી હતો.  2 પછી રામના કુટુંબના બારાકેલ બુઝીના દીકરા અલીહૂને અયૂબ પર ગુસ્સે આવ્યો; કારણ કે અયૂબે ઈશ્વર કરતાં પોતાને ન્યાયી જાહેર કર્યો હતો. 
 3 અલીહૂને તેના ત્રણ મિત્રો પ્રત્યે પણ ક્રોધ આવ્યો, કારણ કે તેઓ અયૂબની વાતોનો જવાબ આપી શક્યા નહોતા, તેમ છતાં તેઓએ અયૂબને દોષિત જાહેર કર્યો.  4 હવે અલીહૂ અયૂબ સાથે વાર્તાલાપ કરવાની રાહ જોઈ રહ્યો હતો, કારણ કે અન્ય લોકો તેના કરતા વડીલ હતા.  5 તેમ છતાં જ્યારે અલીહૂએ જોયું કે તે ત્રણેની પાસે કોઈ જવાબ નથી, ત્યારે તેને વધારે ગુસ્સો આવ્યો. 
અલિહૂ 
 6 બારાકેલ બુઝીના દીકરા અલીહૂએ જવાબ આપતાં કહ્યું કે, 
“હું તરુણ છું, અને તમે ઘણા વૃદ્ધ છો. 
તે માટે હું ચૂપ રહ્યો અને મારો અભિપ્રાય તમને જણાવવાની મેં હિંમત કરી નહિ.” 
 7 મેં કહ્યું, “દીર્ઘ આયુષ્યવાળાઓએ બોલવું જોઈએ; 
અને દીર્ઘ આયુષ્યવાળાઓએ ડહાપણ શીખવવું જોઈએ. 
 8 પણ માણસમાં આત્મા રહેલો છે; 
અને સર્વશક્તિમાન ઈશ્વરનો શ્વાસ લોકોને સમજણ આપે છે. 
 9 મહાન લોકો જ બુદ્ધિમાન હોય છે તેવું નથી, 
અથવા વૃદ્ધ લોકો જ ન્યાય સમજે છે તે પ્રમાણે હંમેશા હોતું નથી. 
 10 તે માટે હું કહું છું કે, ‘મને સાંભળો; 
હું પણ તમને મારું ડહાપણ જાહેર કરીશ’. 
 11 જુઓ, જ્યારે તમે વિચારતા હતા કે શું બોલવું; 
મેં તમારા શબ્દોની રાહ જોઈ 
અને મેં તમારી દલીલો સાંભળી. 
 12 ખરેખર, મેં તમને ધ્યાનથી સાંભળ્યા, 
પણ, જુઓ, તમારામાંનો કોઈ પણ અયૂબને ખાતરી કરાવી શક્યો નહિ 
અને તેને જવાબમાં પ્રત્યુત્તર પણ આપી શક્યો નહિ. 
 13 સાવચેત રહેજો અને એવું ન કહેતા કે, ‘અમને ડહાપણ પ્રાપ્ત થયું છે!” 
ઈશ્વર અયૂબને હરાવશે; સામાન્ય માણસ કંઈ કરી શકે નહિ. 
 14 અયૂબે મારી સાથે દલીલ કરી નથી, 
તેથી હું તમારા શબ્દોથી તેને સામો જવાબ આપીશ નહિ. 
 15 આ ત્રણ માણસો સ્તબ્ધ થઈ ગયા; તેઓ અયૂબને જવાબ આપી શક્યા નહીં. 
તેઓની પાસે બોલવાને કોઈ શબ્દો રહ્યા નથી. 
 16 કારણ કે તેઓ શાંત ઊભા છે અને જવાબ આપતા નથી, 
તેઓ વાત કરતા નથી તેથી શું હું રાહ જોઈ બેસી રહું? 
 17 ના, હું પણ જવાબમાં મારો અભિપ્રાય આપીશ; 
હું તેઓને મારા વિચારો જાહેર કરીશ. 
 18 મારી પાસે કહેવાને ઘણી બાબતો છે; 
મારો આત્મા મને ફરજ પાડે છે. 
 19 જુઓ, હું નવી દ્રાક્ષારસના મશક જેવો છું કે જે હજી ખોલી ન હોય; તેવું મારું મન છે, 
નવા મશકની જેમ તે ફાટવાની તૈયારીમાં છે. 
 20 હું બોલીશ જેથી મારું મન સ્વસ્થ થાય; 
હું મારા મુખે જવાબ આપીશ. 
 21 હું પક્ષપાત કરીશ નહિ; 
અથવા હું કોઈ પણ માણસને ખુશામતનો ખિતાબ આપીશ નહિ. 
 22 કેમ કે મને ખુશામત કરતાં આવડતું નથી; 
જો હું એમ કરું તો, સર્જનહાર ઈશ્વર મારો જલદી નાશ કરે.