મીખાહ 
લેખક 
મીખાહના પુસ્તકનો લેખક મીખાહ પ્રબોધક હતો. તે એક ગ્રામીણ પ્રબોધક હતો કે જેને સામાજિક અને આત્મિક અન્યાય તથા મૂર્તિપૂજાના પરિણામસ્વરૂપે ઈશ્વરના તોળાઈ રહેલા ન્યાયશાસનનો સંદેશ આપવા એક શહેરી કેન્દ્રમાં મોકલવામાં આવ્યો હતો. દેશના મુખ્યતઃ કૃષિ વિસ્તારમાં રહેતો હોવાથી, મીખાહ તેના દેશના સત્તાના સરકારી કેન્દ્રોની બહાર રહેતો હતો, કે જેણે તેને સમાજના અપંગ, બહિષ્કૃત તથા પીડિત નીચલા વર્ગના અને ગરીબ લોકો માટે ભારે કાળજી કરવા દોર્યો હતો (4:6). મીખાહનું પુસ્તક ખ્રિસ્તનાં જન્મના લગભગ સાતસો વર્ષ અગાઉ તેમના બેથલેહેમના જન્મસ્થળને અને તેમના અનંતકાળિક સ્વભાવને નિર્દેશિત કરતાં (5:2) સમગ્ર જૂના કરારમાં ઈસુ ખ્રિસ્તનાં જન્મ વિષે સૌથી મહત્વની ભવિષ્યવાણી પૂરી પાડે છે. 
લખાણનો સમય અને સ્થળ 
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 730 થી 650 વચ્ચેનો છે. 
મીખાહના સૌથી શરૂઆતના વચનો ઉત્તરના ઇઝરાયલના રાજ્યના પતનના બહુ થોડા સમય અગાઉ અપાયાં હોય તેમ લાગે છે (1:2-7). પુસ્તકનાં બીજા ભાગો બાબિલના દેશનિકાલ દરમ્યાન અને ત્યાર બાદ કેટલાક લોકો વતનમાં પાછા ફર્યા તે દરમ્યાન લખાયા હોય તેમ લાગે છે. 
વાંચકવર્ગ 
મીખાહે ઉત્તરના ઇઝરાયલના રાજ્યને તથા દક્ષિણના યહૂદાના રાજ્યને લખ્યું હતું. 
હેતુ 
મીખાહનું પુસ્તક બે મહત્વના ભવિષ્યકથનોની આસપાસ વણાયેલું છે: પ્રથમ તો ઇઝરાયલ અને યહૂદા પરનું ન્યાયશાસન (1-3), અને બીજું, હજાર વર્ષના રાજયમાં ઈશ્વરના લોકોની પુનઃસ્થાપના (4-5). ઈશ્વર લોકોને તેમણે તેમના માટે કરેલા સારાં કાર્યો તથા જ્યારે લોકોએ ફક્ત પોતાની જ કાળજી લીધી ત્યારે ઈશ્વરે કેવી રીતે તેઓની કાળજી લીધી હતી તે યાદ કરાવે છે. 
મુદ્રાલેખ 
ઈશ્વરીય ન્યાયશાસન 
રૂપરેખા 
1. ઈશ્વર ન્યાય કરવા આવે છે — 1:1-2:13 
2. વિનાશનો સંદેશ — 3:1-5:15 
3. અપરાધી ઠરાવતો સંદેશ — 6:1-7:10 
4. ઉપસંહાર — 7:11-20  
 1
 1 યહૂદિયાના રાજાઓ યોથામ, આહાઝ અને હિઝકિયાના શાસન દરમ્યાન યહોવાહનું વચન મીખાહ મોરાશ્તી પાસે આવ્યું. અને જે તેને સમરુન તથા યરુશાલેમ સંબંધીના સંદર્શનમાં પ્રાપ્ત થયું તે આ છે. 
યરુશાલેમ અને સમરુન માટે વિલાપ 
 2 હે સર્વ પ્રજાઓ, સાંભળો. 
પૃથ્વી તથા તેના પર રહેનારાઓ સર્વ ધ્યાન આપો. 
પ્રભુ પોતાના પવિત્ર સભાસ્થાનમાંથી, 
એટલે પ્રભુ યહોવાહ તમારી વિરુદ્ધ સાક્ષી આપે છે. 
 3 જુઓ, યહોવાહ પોતાના સ્થાનમાંથી આવે છે; 
તે નીચે ઊતરીને 
પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર ચાલે છે. 
 4 તેમના પગ નીચે, 
પર્વતો મીણની જેમ ઓગળે છે, 
અને ઢોળાવવાળી જગ્યા ઉપરથી વહી જતાં પાણીના ધોધની જેમ, 
ખીણો ફાટી જાય છે. 
 5 આ બધાનું કારણ યાકૂબના અપરાધો છે, 
અને ઇઝરાયલના કુળના અપરાધોને લીધે એ સર્વ થયું છે. 
યાકૂબનો અપરાધ શો છે? 
શું તે સમરુન નથી? 
અને યહૂદિયાનાં ઉચ્ચસ્થાન ક્યાં છે? 
શું તે યરુશાલેમ નથી? 
 6 “તેથી હું સમરુનને ખેતરના ઢગલા જેવું, 
અને દ્રાક્ષવાડી રોપવાના સ્થાન જેવું કરીશ. 
તેના પથ્થરોને હું ખીણોમાં ગબડાવી દઈશ; 
અને તેના પાયાને ઉઘાડા કરી દઈશ. 
 7 તેની મૂર્તિઓના ટુકડે ટુકડા થઈ જશે, 
તેની બધી કમાણી આગમાં ભસ્મ થઈ જશે. 
અને તેના બધા જૂઠા દેવોની પ્રતિમાઓના હું ચૂરેચૂરા કરી નાખીશ. 
કેમ કે તેણે એ બધું ગણિકાની કમાણી રૂપે મેળવ્યું છે, 
અને તે ગણિકાની કમાણી તરીકે જ પાછું જશે.” 
 8 એને લીધે હું પોક મૂકીને વિલાપ કરીશ; 
અને ઉઘાડા પગે નિર્વસ્ત્ર થઈને ફરીશ; 
હું શિયાળવાંની જેમ રડીશ, 
અને ઘુવડની જેમ કળકળીશ. 
 9 તેના પ્રહાર રુઝવી શકાય એવું નથી, 
કેમ કે યહૂદિયા સુધી ન્યાયચુકાદો આવ્યો છે. 
તે મારા લોકોના દરવાજા સુધી, 
છેક યરુશાલેમ સુધી આવી પહોંચ્યો છે. 
શત્રુ યરુશાલેમ નજદીક આવ્યો છે 
 10 ગાથમાં તે કહેશો નહિ; 
બિલકુલ વિલાપ કરશો નહિ; 
બેથ-લેઆફ્રાહમાં* 1:10 ધૂળનો ઘર, હું પોતાને ધૂળમાં ઢાંકું છું. 
 11 હે શાફીરના રહેવાસીઓ, નિર્વસ્ત્ર તથા બદનામ થઈને તું ચાલ્યો જા. 
સાનાનના રહેવાસીઓ, 
પોતાના ઘરની બહાર નીકળતા નથી. 
બેથ-એસેલ વિલાપ કરે છે, 
તમારી પાસેથી તેનું સ્થળ લઈ લેશે. 
 12 કેમ કે મારોથના લોકો ચિંતાતુર થઈને કંઈ સારું થાય તેની રાહ જોએ છે, 
કેમ કે, યહોવાહ તરફથી, 
યરુશાલેમના દરવાજા સુધી આફત† 1:12 કડવારૂપ આવી પહોંચી છે. 
 13 હે લાખીશના લોકો, રથને ઘોડા જોડો. 
સિયોનની દીકરી માટે પાપની શરૂઆત કરનાર તે હતી, 
અને તમારામાં ઇઝરાયલના અપરાધ મળ્યા હતા. 
 14 અને તેથી તું મોરેશેથ-ગાથને વિદાયની ભેટ આપશે. 
આખ્ઝીબના કુળો ઇઝરાયલના રાજાઓ સાથે કપટ કરશે‡ 1:14 જૂઠ બોલશે. 
 15 હે મારેશાના રહેવાસી, 
હું તારા માટે એક એવો વારસ લાવીશ કે જે તને કબજે કરશે. 
ઇઝરાયલનું ગૌરવ અદુલ્લામની ગુફામાં§ 1:15 આશ્રય પણ આવશે. 
 16 તારાં પ્રિય સંતાનોને લીધે, 
તારા માથાના વાળ કપાવ, 
અને તારું માથું મૂંડાવ. 
અને ગરુડની જેમ તારી ટાલ વધાર, 
કારણ કે તેઓ તારી પાસેથી ગુલામગીરીમાં ગયા છે.