૭
લગ્ન વિશેના પ્રશ્નો 
 ૧ હવે જે બાબતો સંબંધી તમે મારા પર લખ્યું તે વિષે પુરુષ સ્ત્રીનો સ્પર્શ ના કરે તો સારું.  ૨ પણ વ્યભિચાર ન થાય માટે દરેક પુરુષે અને સ્ત્રીએ લગ્ન કરવું, 
 ૩ પતિએ પોતાની પત્ની પ્રત્યે જવાબદારી નિભાવવી. અને તેમ જ પત્નીએ પોતાના પતિ પ્રત્યેની ફરજ બજાવવી.  ૪ પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પતિને છે; તેમ જ પતિને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પત્નીને છે. 
 ૫ એકબીજાથી જુદાં ના થાઓ, પણ પ્રાર્થના માટે થોડીવાર સુધી એકબીજાની સંમતિથી જુદાં થવું પડે તો થાઓ. પછી પાછા ભેગા થાઓ, રખેને શેતાન તમારા માનસિક વિકારને લીધે તમને પરીક્ષણમાં પાડે. 
 ૬ પણ હું આ વાત તમને આજ્ઞા તરીકે નહિ પણ મરજિયાત રીતે કહું છું.  ૭ મારી ઇચ્છા છે કે, તમે સર્વ માણસો મારા જેવા થાઓ. પણ ઈશ્વરે દરેકને પોતપોતાનું અંગત કૃપાદાન આપેલું છે, કોઈને એક પ્રકારનું તો કોઈને બીજા પ્રકારનું કૃપાદાન. 
 ૮ પણ અપરિણીતોને તથા વિધવાઓને હું કહું છું કે, 'તેઓ જો મારા જેવા રહે તો તેઓને તે હિતકારક છે.'  ૯ પણ જો તેઓ પોતે સંયમ ન રાખી શકે તો તેઓને લગ્ન કરવાની છૂટ છે. કેમ કે બળવા કરતાં લગ્ન કરવું એ સારું છે. 
 ૧૦ પણ લગ્ન કરેલાઓને હું આજ્ઞા કરું છું, હું તો નહિ, પણ પ્રભુ કરે છે, કે પત્નીએ પોતાના પતિથી જુદા થવું નહિ;  ૧૧ (પણ જો પત્ની જાતે જુદી થાય તો તેણે લગ્ન કર્યાં વિના રહેવું, નહીં તો પતિની સાથે સુલેહ કરીને રહેવું); પતિએ પોતાની પત્નીનો ત્યાગ કરવો નહિ. 
 ૧૨ હવે બાકીનાઓને તો પ્રભુ નહિ, પણ હું કહું છું કે, જો કોઈ વિશ્વાસી ભાઈને અવિશ્વાસી પત્ની હોય, અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો પતિએ તેનો ત્યાગ કરવો નહિ;  ૧૩ કોઈ વિશ્વાસી પત્નીને અવિશ્વાસી પતિ હોય, અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો પત્નીએ તેનો ત્યાગ કરવો નહિ.  ૧૪ કેમ કે અવિશ્વાસી પતિએ વિશ્વાસી પત્નીથી પવિત્ર કરાયેલો છે, અવિશ્વાસી પત્નીએ વિશ્વાસી પતિથી પવિત્ર કરાયેલી છે; એવું ના હોત તો તમારાં બાળકો અશુદ્ધ હોત, પણ હવે તેઓ પવિત્ર છે. 
 ૧૫ પણ જો અવિશ્વાસી પુરુષ અલગ રહેવા માગે, તો તેને અલગ રહેવા દો; એવા સંજોગોમાં કોઈ વિશ્વાસી ભાઈ કે બહેન બંધનમાં નથી; પણ ઈશ્વરે સૌને શાંતિમાં રહેવા સારુ તેડ્યાં છે.  ૧૬ અરે સ્ત્રી, તું તારા પતિનો ઉદ્ધાર કરીશ કે નહિ, એ તું શી રીતે જાણી શકે? અરે પુરુષ, તું તારી પત્નીનો ઉદ્ધાર કરીશ કે નહિ, એ તું શી રીતે જાણી શકે? 
ઈશ્વરના આમંત્રણને અનુરૂપ જીવન જીવો 
 ૧૭ કેવળ જેમ ઈશ્વરે દરેકને વહેંચી આપ્યું છે અને જેમ પ્રભુએ દરેકને તેડ્યું છે, તેમ તે દરેકે ચાલવું; અને એ જ નિયમ હું સર્વ વિશ્વાસી સમુદાયો માટે ઠરાવું છું.  ૧૮ શું કોઈ સુન્નતી તેડાયેલો છે? તો તેણે બેસુન્નતી જેવા ન થવું, શું કોઈ બેસુન્નતી તેડાયેલો છે? તો તેણે સુન્નતી જેવા થવું નહિ.  ૧૯ સુન્નત તો કંઈ નથી, અને બેસુન્નત પણ કંઈ નથી, પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન તે જ [બધું છે]. 
 ૨૦ દરેક માણસને જે સ્થિતિમાં તેડવામાં આવ્યો હોય એ જ સ્થિતિમાં તે રહે.  ૨૧ શું તને દાસ હોવા છતાં તેડવામાં આવ્યો છે? તો તે બાબતની ચિંતા ન કર; અને જો તું છૂટો થઈ શકે એમ હોય તો બહેતર છે કે તારે તેનો લાભ લેવો જોઈએ.  ૨૨ કેમ કે જે દાસને પ્રભુએ તેડયો છે તે હવે પ્રભુનો સ્વતંત્ર સેવક છે; અને એમ જ જે સ્વતંત્ર હોય તેને જો તેડવામાં આવ્યો હોય તો તે હવે ખ્રિસ્તનો દાસ છે.  ૨૩ તમને મૂલ્ય ચૂકવીને ખરીદવામાં આવ્યા છે તેથી તમે માણસના દાસ ન થાઓ.  ૨૪ ભાઈઓ, જે સ્થિતિમાં તમને તેડવામાં આવ્યા હોય તે સ્થિતિમાં દરેકે ઈશ્વરની સાથે રહેવું. 
અપરિણિતો અને વિધવાઓનો પ્રશ્ન 
 ૨૫ હવે કુંવારીઓ વિષે મને પ્રભુ તરફથી કંઈ આજ્ઞા મળી નથી; પણ જેમ વિશ્વાસુ થવાને પ્રભુ પાસેથી હું દયા પામ્યો છું, તેમ હું મારો પોતાનો અભિપ્રાય આપું છું.  ૨૬ તો મને એમ લાગે છે કે, હાલનાં સંકટના સમયમાં દરેક માણસે હાલમાં પોતાની જે સ્થિતિ છે તેમાં તેણે રહેવું તે હિતકારક છે. 
 ૨૭ શું તું પત્ની સાથે બંધાયેલો છે? તો તું તેનાથી વિખૂટા પડવાની ઇચ્છા કરીશ નહિ. શું તું પત્નીથી છૂટો થયેલો છે? તો હવે તું પત્નીની ઇચ્છા કરીશ નહિ.  ૨૮ જો તું લગ્ન કરે, તો તું પાપ નથી કરતો; અને જો કુંવારી સ્ત્રી લગ્ન કરે તો તે પાપ કરતી નથી; જોકે લગ્ન કરવાથી જીવનમાં કેટલીક મુશ્કેલીઓ પડશે પણ હું તમારા પર દયા રાખીને તમારો બચાવ કરવા ઇચ્છું છું. 
 ૨૯ ભાઈઓ, હું એ કહું છું કે હવે થોડો સમય બાકી રહેલો છે; જેઓએ લગ્ન કર્યા છે તેઓ લગ્ન કર્યાં વિનાના જેવા થાય.  ૩૦ રડનારા ન રડનારા જેવા થાય; અને હર્ષ કરનારા એવા આનંદથી દૂર રહેનારા જેવા થાય; વળી ખરીદનાર પોતાની પાસે કશું ન રાખનારા જેવા થાય;  ૩૧ અને જેઓ આ દુનિયાના વ્યવહાર કરનારા છે તેઓ દુનિયાના વ્યવહારમાં ગળાડૂબ થઈ તલ્લીન થઈ ગયેલા જેવા થાઓ નહિ. કેમ કે આ ભૌતિક જગતનો વૈભવ નષ્ટ થવાનો છે. 
 ૩૨ પણ તમે ચિંતા કરો નહિ, એવી મારી ઇચ્છા છે. જેણે લગ્ન કરેલાં નથી તે પ્રભુની વાતોમાં તલ્લીન રહે છે, કે પ્રભુને કેવી રીતે મહિમા આપવો;  ૩૩ પણ જેણે લગ્ન કરેલું છે તે દુનિયાની નાશવંત વાતોમાં મગ્ન રહે છે, કે પત્નીને કેવી રીતે ખુશ રાખવી.  ૩૪ તેમ જ પરિણીતા તથા કુંવારીમાં પણ ભિન્નતા છે. જેમણે લગ્ન કરેલું નથી તે સ્ત્રીઓ પ્રભુની વાતોની કાળજી રાખે છે, કે તે શરીરમાં તથા આત્મામાં પવિત્ર થાય; પણ પરિણીતા દુનિયાદારીની ચિંતા રાખે છે, કે પતિને કેવી રીતે ખુશ રાખવો. 
 ૩૫ પણ હું તમારા પોતાના હિતને માટે તે કહું છું; કે જેથી તમે સંકટમાં આવી પાડો નહિ, પણ એ માટે કહું છું કે તમે યોગ્ય રીતે ચાલો તથા એક મનના અને એક ચિત્તના થઈને પ્રભુની સેવા કરો. 
 ૩૬ પણ જો કોઈને એવું લાગે કે પોતાના ઉત્કટ આવેગના લીધે તે પોતાની સગાઈ કરેલ કન્યા સાથે અયોગ્ય રીતે વર્તન કરે છે તો તેણે પોતાની ઇચ્છા મુજબ તેની સાથે લગ્ન કરવું. તેમ કરવું તે પાપ નથી.  ૩૭ પણ જો તે લગ્ન ન કરવાનો નિર્ણય કરે છે, તેને કોઈ મજબુરી ન હોય અને તે પોતાના આવેગ પર અંકુશ રાખી શકે તેમ હોય તો સારું થશે કે તે તેની સાથે લગ્ન ન કરે.  ૩૮ એટલે જેની સાથે તેણે સગાઈ કરેલ છે તેની સાથે જે લગ્ન કરે છે તે સારું કરે છે, અને જે તેની સાથે લગ્ન ન કરવાનું પસંદ કરે છે તે વધારે સારો નિર્ણય કરે છે. 
 ૩૯ પત્ની જ્યાં સુધી તેનો પતિ જીવે છે, ત્યાં સુધી નિયમથી બંધાયેલી છે; પણ જો તેનો પતિ મૃત્યુ પામ્યો હોય, તો જેને તે ઇચ્છે છે તે વિશ્વાસીની સાથે લગ્ન કરવાને તે સ્વતંત્ર છે, પણ ફક્ત પ્રભુમાં.  ૪૦ પણ જો તે એકલી રહે, તો મારા ધાર્યા પ્રમાણે, તે વધારે આશીર્વાદિત થશે; મારી આ સલાહ ઈશ્વરના આત્મા તરફથી છે; એવું હું માનું છું.