૫
અનાન્યા અને સાફીરા 
 ૧ પણ અનાન્યા નામે એક માણસે તથા તેની પત્ની સાફીરાએ પોતાની મિલકત વેચી.  ૨ સાફીરાની સંમતિથી અનાન્યાએ તેના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે પણ રાખ્યું; અને કેટલોક ભાગ લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યો. 
 ૩ પણ પિતરે કહ્યું કે, 'ઓ અનાન્યા, પવિત્ર આત્માને જૂઠું કહેવાનું, તથા જમીનનાં મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું શેતાને તારા મનમાં કેમ ભર્યું છે?  ૪ તે [જમીન] તારી પાસે હતી ત્યારે શું તારી નહોતી? અને તેને વેચ્યા પછી શું [તેનું મૂલ્ય] તારે સ્વાધીન નહોતું? તેં પોતાના મનમાં આવો વિચાર કેમ આવવા દીધો? તેં માણસોને નહિ પણ ઈશ્વરને જૂઠું કહ્યું છે.'  ૫ એ વાતો સાંભળતાં જ અનાન્યાએ પડીને પોતાનો પ્રાણ છોડ્યો, અને જેઓએ એ વાત સાંભળી તે સર્વને ઘણી બીક લાગી.  ૬ પછી જુવાનોએ ઊઠીને તેને [કપડાંમાં] વીંટાળ્યો, અને બહાર લઈ જઈને દફનાવ્યો. 
 ૭ ત્રણેક કલાક પછી તેની પત્ની અંદર આવી, જે થયું હતું તેની તેને ખબર નહોતી.  ૮ ત્યારે પિતરે સાફીરાને પૂછ્યું કે, મને કહે, તમે શું આટલી જ કિંમતે તે જમીન વેચી? તેણે તેને કહ્યું કે, હા, એટલી જ કિંમતે. 
 ૯ ત્યારે પિતરે તેને કહ્યું કે, પ્રભુના આત્માનું પરીક્ષણ કરવાને તમે બન્નેએ કેમ સંપ કર્યો છે? જો, તારા પતિને દફનાવનારાંઓ હવે બારણા પાસે આવી પહોંચ્યા છે, અને તેઓ તને પણ લઈ જશે.  ૧૦ તત્કાળ સાફીરાએ તેમના પગ પાસે પડીને પોતાનો પ્રાણ છોડ્યો; પછી તે જુવાનોએ આવીને તેને મરણ પામેલી જોઈ, અને બહાર લઈ જઈને તેને તેના પતિની કબર પાસે દફનાવી.  ૧૧ આથી આખા વિશ્વાસી સમુદાયને તથા જે લોકોએ એ વાતો સાંભળી તે સર્વને ઘણો ડર લાગ્યો. 
ચમત્કારો અને અદભુત કાર્યો 
 ૧૨ પ્રેરિતોની હસ્તક લોકોમાં ઘણાં ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો થયાં. તેઓ સર્વ એક ચિત્તે સુલેમાનની પરસાળમાં નિયમિત મળતા હતા;  ૧૩ પણ બીજાઓમાંથી કોઈને તેઓની સાથે મળી જવાની હિંમત થતી ન હતી; તોપણ લોકો તેઓને માન આપતા; 
 ૧૪ અને પ્રભુ પર વિશ્વાસ કરનારાં, સંખ્યાબંધ પુરુષો તથા સ્ત્રીઓ, વધારે પ્રમાણમાં ઉમેરાતાં ગયા;  ૧૫ એટલે સુધી કે તેઓએ માંદાઓને લાવીને પથારીઓ તથા ખાટલાઓ પર સુવાડ્યાં, જેથી પિતર પાસે થઈને જાય તો તેનો પડછાયો પણ તેઓમાંના કોઈનાં ઉપર પડે.  ૧૬ વળી યરુશાલેમની આસપાસનાં શહેરોમાંના ઘણાં લોક બીમારોને તથા અશુદ્ધ આત્માઓથી પીડાતાંઓને લઈને ત્યાં આવતા હતા, અને તેઓ બધાને સાજાં કરવામાં આવતાં હતાં. 
પ્રેરિતોની સતાવણી 
 ૧૭ પણ પ્રમુખ યાજક તથા તેના સઘળા સાથીઓ (જેઓ સદૂકી પંથના હતા), તેઓને ખૂબ ઈર્ષા આવી,  ૧૮ અને પ્રેરિતોને પકડીને તેઓએ તેમને જેલમાં પૂર્યા. 
 ૧૯ પણ રાત્રે પ્રભુના સ્વર્ગદૂતે જેલના બારણાં ઉઘાડ્યાં, અને તેઓને બહાર લાવીને કહ્યું કે,  ૨૦ તમે જાઓ, અને ભક્તિસ્થાનમાં ઊભા રહીને એ જીવન વિષેની બધી વાતો લોકોને સંભળાવો.  ૨૧ એ સાંભળીને પિતર તથા યોહાને વહેલી સવારે ભક્તિસ્થાનમાં જઈને પ્રવચન કર્યું. પણ પ્રમુખ યાજક તથા તેના સાથીઓએ આવીને સભા બોલાવી ભક્તિસ્થાનમાં ઇઝરાયલી લોકોના વડીલોને એકઠા કર્યા અને પિતર તથા યોહાનને લાવવાને માટે જેલમાં માણસ મોકલ્યા. 
 ૨૨ પણ સિપાઈઓ ત્યાં ગયા ત્યારે તેઓ તેમને જેલમાં મળ્યા નહિ; તેઓએ પાછા આવીને ખબર આપી કે,  ૨૩ અમે જેલના દરવાજાને સારી રીતે બંધ કરેલ તથા ચોકીદારોને દરવાજા આગળ ઊભા રહેલા જોયા; પણ અમે દરવાજો ઉઘાડ્યો ત્યારે અમને અંદર કોઈ માલૂમ પડ્યા નહિ. 
 ૨૪ હવે જયારે ભક્તિસ્થાનના સરદારે તથા મુખ્ય યાજકોએ આ વાતો સાંભળી ત્યારે એ સંબંધી તેઓ બહુ ગૂંચવણ પામ્યા કે, આનું શું પરિણામ આવશે?  ૨૫ એટલામાં એક વ્યક્તિએ આવી તેઓને ખબર આપી કે, જુઓ, જે માણસોને તમે જેલમાં પૂર્યા હતા, તેઓ તો ભક્તિસ્થાનમાં ઊભા રહીને લોકોને ઉપદેશ આપે છે. 
 ૨૬ ત્યારે સરદાર સિપાઈઓને સાથે લઈને જબરદસ્તી કર્યા વિના તેઓને લઈ આવ્યો; કેમ કે તેઓ લોકોથી બીતા હતા કે, કદાચ તેઓ અમને પથ્થરે મારે.  ૨૭ તેઓએ તેઓને લાવીને સભા આગળ હાજર કર્યા, અને પ્રમુખ યાજકે તેઓને પૂછ્યું કે,  ૨૮ “અમે તમને સખત મના કરી હતી કે તમારે બોધ કરતાં એ નામ [ઈસુનું] લેવું નહિ; પણ જુઓ, તમે તો તમારા પ્રવચનથી યરુશાલેમને ગજવી મૂક્યું છે, એ માણસનું રક્ત પાડવાનો દોષ તમે અમારા પર મૂકવા માગો છો.” 
 ૨૯ પણ પિતર તથા પ્રેરિતોએ ઉત્તર આપ્યો કે, માણસોના કરતાં અમારે ઈશ્વરનું વધારે માનવું જોઈએ.  ૩૦ જે ઈસુને તમે વધસ્તંભ પર જડીને મારી નાખ્યા, તેમને આપણા પૂર્વજોના ઈશ્વરે ઉઠાડ્યાં છે.  ૩૧ તેમને ઈશ્વરે પોતાને જમણે હાથે રાજા તથા ઉદ્ધારક થવાને ઊંચા કર્યા છે, કે તેઓ ઇઝરાયલને પશ્ચાતાપ કરાવે તથા તેઓને પાપની માફી આપે.  ૩૨ અમે એ વાતોના સાક્ષી છીએ, અને ઈશ્વરે પોતાની આજ્ઞા માનનારાઓને જે પવિત્ર આત્મા આપ્યા છે તેઓ પણ સાક્ષી છે. 
 ૩૩ આ સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયા, અને તેઓએ તેમને મારી નાખવાનો નિર્ણય કર્યો.  ૩૪ પણ ગમાલીએલ નામે એક ફરોશી નિયમશાસ્ત્રી, જેને સર્વ લોકો માન આપતા હતા, તેણે સભામાં ઊભા થઈને હુકમ કર્યો કે આ વ્યક્તિઓને થોડીવાર સુધી બહાર લઈ જાઓ. 
 ૩૫ પછી તેણે તેઓને કહ્યું કે, ઓ ઇઝરાયલી માણસો, આ લોકોને તમે જે કરવા ઇચ્છો છો તે વિષે સાવચેત રહો.  ૩૬ કેમ કે કેટલાક સમય પહેલાં થ્યુદાએ બળવો કરીને કહ્યું કે, હું એક મહાન વ્યક્તિ છું; તેની સાથે આશરે ચારસો માણસ સામેલ થયા હતા, તે માર્યા ગયા, અને જેટલાંએ તેનું માન્યું તેઓ સર્વ નાશ પામ્યા.  ૩૭ એના પછી વસ્તીગણતરીના સમયે ગાલીલના યહૂદાએ બળવો કરીને ઘણાં લોકોને પોતાની પાછળ ખેંચ્યા; તે પણ નાશ પામ્યો, અને જેટલાં લોકોએ તેનું માન્યું તેઓ સર્વ વિખેરાઈ ગયા. 
 ૩૮ હવે હું તમને કહું છું કે, આ માણસોથી તમે દૂર રહો, અને તેઓને રહેવા દો; કેમ કે જો એ મત અથવા એ કામ માણસોથી હશે તો તે ઊથલી પડશે;  ૩૯ પણ જો ઈશ્વરથી હશે તો તમારાથી તે ઊથલાવી નંખાશે નહિ; નહિ તો કદાચ તમે ઈશ્વરની સામે પણ લડનારા જણાશો. 
 ૪૦ તેઓએ તેમનું માન્યું; પછી તેઓએ પ્રેરિતોને પોતાની પાસે પાછા બોલાવીને માર માર્યો; અને વાત કરતાં ઈસુનું નામ લેવું નહિ, એવી આજ્ઞા કરીને તેઓએ તેમને છોડી દીધાં.  ૪૧ તેઓ તે નામને લીધે અપમાન પામવા યોગ્ય ગણાયા, તેથી તેઓ આનંદ કરતા સભામાંથી ચાલ્યા ગયા.  ૪૨ પણ તેઓએ નિત્ય ભક્તિસ્થાનમાં તથા ઘરે ઈસુ તે જ ખ્રિસ્ત છે તે વિષે શીખવવાનું તથા પ્રગટ કરવાનું ચાલુ રાખ્યું.