૭
 ૧ જ્યારે હું ઇઝરાયલને સાજો કરવા ઇચ્છતો હતો, 
ત્યારે એફ્રાઇમનાં પાપ, 
સમરુનનાં દુષ્ટ કૃત્યો પ્રગટ થયાં. 
કેમ કે તેઓ દગો કરે છે, 
ચોર અંદર ઘૂસીને, 
શેરીઓમાં લૂંટફાટ ચલાવે છે. 
 ૨ તેઓ પોતાના મનમાં વિચાર કરતા જ નથી કે, 
તેઓનાં સર્વ દુષ્ટ કાર્યો મારા સ્મરણમાં છે. 
તેઓનાં પોતાનાં કાર્યોએ તેઓને ચારે તરફથી ઘેરી લીધા છે; 
તેઓ મારી નજર આગળ જ છે. 
 ૩ તેઓની પોતાની દુષ્ટતાથી રાજાને, 
પોતાનાં જૂઠાણાંથી સરદારોને રાજી કરે છે. 
 ૪ તેઓ બધા જ વ્યભિચારીઓ છે; 
તેઓ ભઠિયારાએ સળગાવેલી ભઠ્ઠી જેવા છે, 
લોટને મસળે ત્યારથી તેને ખમીર ચઢે ત્યાં સુધી 
આગને બંધ કરે છે. 
 ૫ અમારા રાજાના જન્મ દિવસે સરદારો મદ્યપાનની ગરમીથી માંદા પડ્યા છે. 
તેણે હાંસી ઉડાવનારાઓ સાથે સહવાસ રાખ્યો છે. 
 ૬ કેમ કે પોતાનું હૃદય ભઠ્ઠીની જેમ તૈયાર કરીને, 
તેઓ કપટભરી યોજના ઘડે છે. 
તેઓનો ક્રોધ આખી રાત બળતો રહે છે; 
સવારમાં તે અગ્નિના ભડકાની પેઠે બળે છે. 
 ૭ તેઓ બધા ભઠ્ઠીની જેમ ગરમ છે, 
તેઓ પોતાના ન્યાયાધીશોને ભસ્મ કરી જાય છે. 
તેઓના બધા રાજાઓ માર્યા ગયા છે; 
તેઓમાંનો કોઈ મને વિનંતી કરતો નથી. 
 ૮ એફ્રાઇમ વિવિધ લોકો સાથે ભળી જાય છે, 
તે તો ફેરવ્યા વગરની પૂરી જેવો છે. 
 ૯ પરદેશીઓએ તેનું બળ નષ્ટ કર્યું છે, 
પણ તે તે જાણતો નથી. 
તેના માથાના વાળ સફેદ થયા છે, 
પણ તે જાણતો નથી. 
 ૧૦ ઇઝરાયલનું ગર્વ તેની વિરુદ્ધ સાક્ષી આપે છે; 
તેમ છતાં, તેઓ યહોવાહ પોતાના ઈશ્વરની પાસે પાછા આવ્યા નથી, 
આ બધું છતાં, તેઓએ તેમને શોધ્યા પણ નથી. 
 ૧૧ એફ્રાઇમ મૂર્ખ કબૂતરનાં જેવો ભોળો છે, 
મિસરને બોલાવે છે, 
તેઓ આશૂરની તરફ જાય છે. 
 ૧૨ જ્યારે તેઓ જશે, ત્યારે હું તેઓના પર મારી જાળ પાથરીશ, 
હું તેઓને આકાશના પક્ષીઓની જેમ નીચે લાવીશ. 
તેઓની જમાતને કહી સંભળાવ્યું તે પ્રમાણે 
હું તેઓને સજા કરીશ. 
 ૧૩ તેઓને અફસોસ! 
કેમ કે તેઓ મારી પાસેથી ભટકી ગયા છે. 
તેઓનો નાશ થાઓ! 
તેઓએ મારી વિરુદ્ધ બંડ કર્યું છે. 
હું તેઓને બચાવવા ઇચ્છતો હતો, 
પણ તેઓએ મારી વિરુદ્ધ જૂઠી વાતો કરી છે. 
 ૧૪ તેઓ પોતાના હૃદયથી મને પોકારતા નથી, 
પણ તેઓ પથારીમાં પડ્યા પડ્યા વિલાપ કરે છે. 
તેઓ અનાજ અને દ્રાક્ષારસ મેળવવા પોતાના પર પ્રહાર કરે છે, 
તેઓ મારાથી પાછા ફરે છે. 
 ૧૫ મેં તેઓના હાથોને તાલીમ આપીને બળવાન કર્યા છે, 
છતાં પણ તેઓ મારી વિરુદ્ધ ઈજા કરવાની યોજના કરે છે. 
 ૧૬ તેઓ પાછા આવે છે, 
પણ તેઓ મારી તરફ, એટલે આકાશવાસી તરફ પાછા ફરતા નથી. 
તેઓ નિશાન ચૂકી જનાર ધનુષ્ય જેવા છે. 
તેઓના સરદારો પોતાની તોછડી જીભને કારણે 
તલવારથી નાશ પામશે. 
આ કારણે મિસર દેશમાં તેઓની મશ્કરી થશે.