૩૩
 ૧ મૂસા અને હારુનની આગેવાની હેઠળ ઇઝરાયલી લોકો પોતાનાં સૈન્ય જૂથો સહિત મિસર દેશમાંથી બહાર આવ્યા પછી તે લોકોએ જે જે ઠેકાણે મુસાફરી કરી તે આ છે:  ૨ જ્યાંથી તેઓ રવાના થયા અને જ્યાં ગયા તે સ્થળોનાં નામ મૂસાએ યહોવાહની આજ્ઞા અનુસાર નોંધી લીધાં હતાં. તેઓની મજલો પ્રમાણે તેઓની કૂચ આ છે. 
 ૩ તેઓ પહેલા મહિને, એટલે પહેલા મહિનાના પંદરમા દિવસે રામસેસથી રવાના થયા. પાસ્ખાપર્વ પછીની સવારે ઇઝરાયલી લોકો મિસરવાસીઓના દેખતાં જાહેરમાં નીકળ્યા.  ૪ જ્યારે મિસરવાસીઓ પોતાના પ્રથમજનિતો જેઓને યહોવાહે તેઓની મધ્યેથી મારી નાખ્યા તેઓને દફ્નાવતા હતા તે સમયે એવું બન્યું. યહોવાહે તેઓના દેવોને પણ સજા કરી. 
 ૫ ઇઝરાયલીઓએ રામસેસથી નીકળીને સુક્કોથમાં છાવણી કરી.  ૬ તેઓએ સુક્કોથથી નીકળીને અરણ્ય કિનારે આવેલા એથામમાં છાવણી કરી.  ૭ તેઓ એથામથી નીકળીને પાછા ફરીને બઆલસફોનની પાસે આવેલ પી-હાહીરોથ આવ્યા, ત્યાં તેઓએ મિગ્દોલની સામે છાવણી કરી. 
 ૮ પછી પી-હાહીરોથથી નીકળીને સમુદ્ર મધ્યે થઈને તેઓ અરણ્યમાં ગયા. તેઓએ એથામના અરણ્યમાં ત્રણ દિવસ મુસાફરી કરીને મારાહમાં છાવણી કરી.  ૯ તેઓ મારાહથી આગળ વધીને એલીમ આવ્યા. એલીમમાં પાણીના બાર ઝરા અને ખજૂરીનાં સિત્તેર વૃક્ષો હતાં. ત્યાં તેઓએ છાવણી કરી.  ૧૦ તેઓએ એલીમથી નીકળીને લાલ સમુદ્ર પાસે છાવણી કરી. 
 ૧૧ તેઓએ લાલ સમુદ્રથી નીકળીને સીનના અરણ્યમાં છાવણી કરી.  ૧૨ તેઓએ સીનના અરણ્યમાંથી નીકળીને દોફકાહમાં છાવણી કરી.  ૧૩ દોફકાહથી નીકળીને આલૂશમાં છાવણી કરી.  ૧૪ તેઓએ આલૂશથી નીકળીને રફીદીમમાં છાવણી કરી. ત્યાં લોકોને માટે પીવાનું પાણી નહોતું. 
 ૧૫ તેઓએ રફીદીમથી નીકળીને સિનાઈના અરણ્યમાં છાવણી કરી.  ૧૬ તેઓએ સિનાઈના અરણ્યમાંથી નીકળીને કિબ્રોથહત્તાવાહમાં છાવણી કરી.  ૧૭ તેઓએ કિબ્રોથહત્તાવાહથી નીકળીને હસેરોથમાં છાવણી કરી.  ૧૮ તેઓએ હસેરોથથી નીકળીને રિથ્માહમાં છાવણી કરી. 
 ૧૯ રિથ્માહથી નીકળીને તેઓએ રિમ્મોનપેરેસમાં છાવણી કરી.  ૨૦ રિમ્મોનપેરેસથી નીકળીને તેઓએ લિબ્નાહમાં છાવણી કરી.  ૨૧ લિબ્નાહથી નીકળીને તેઓએ રિસ્સાહમાં છાવણી કરી.  ૨૨ રિસ્સાહથી નીકળીને તેઓએ કહેલાથાહમાં છાવણી કરી. 
 ૨૩ કહેલાથાહથી નીકળીને તેઓએ શેફેર પર્વત આગળ છાવણી કરી.  ૨૪ શેફેર પર્વતથી નીકળીને તેઓએ હરાદાહમાં છાવણી કરી.  ૨૫ હરાદાહથી નીકળીને તેમણે માકેહેલોથમાં છાવણી કરી.  ૨૬ માકેહેલોથથી નીકળી તેઓએ તાહાથમાં છાવણી કરી. 
 ૨૭ તાહાથથી નીકળીને તેઓએ તેરાહમાં છાવણી કરી.  ૨૮ તેરાહથી નીકળીને તેઓએ મિથ્કાહમાં છાવણી કરી.  ૨૯ મિથ્કાહમાંથી નીકળીને તેઓએ હાશ્મોનાહમાં છાવણી કરી.  ૩૦ હાશ્મોનાહથી નીકળીને તેઓએ મોસેરોથમાં છાવણી કરી. 
 ૩૧ મોસેરોથથી નીકળીને તેઓએ બનીયાઅકાનમાં છાવણી કરી.  ૩૨ બનીયાઅકાનથી નીકળીને તેઓએ હોરહાગિદગાદમાં છાવણી કરી.  ૩૩ હોર-હાગિદગાદથી નીકળીને તેઓએ યોટબાથાહમાં છાવણી કરી.  ૩૪ યોટબાથાથી નીકળીને તેઓએ આબ્રોનામાં છાવણી કરી. 
 ૩૫ આબ્રોનાથી નીકળીને તેઓએ એસ્યોન-ગેબેરમાં છાવણી કરી.  ૩૬ એસ્યોન-ગેબેરથી નીકળીને તેઓએ કાદેશમાં એટલે કે સીનના અરણ્યમાં છાવણી કરી.  ૩૭ કાદેશથી નીકળીને તેઓએ અદોમની સરહદે આવેલા હોર પર્વત આગળ છાવણી કરી. 
 ૩૮ યહોવાહની આજ્ઞા પ્રમાણે હારુન યાજક હોર પર્વત ઉપર ગયો અને ઇઝરાયલી લોકોના મિસર દેશમાંથી બહાર આવ્યા પછી ચાળીસમાં વર્ષે, એટલે પાંચમા મહિનાના પ્રથમ દિવસે તે ત્યાં મૃત્યુ પામ્યો.  ૩૯ હારુન હોર પર્વત પર મરણ પામ્યો ત્યારે તે એકસો તેવીસ વર્ષનો હતો. 
 ૪૦ કનાની દેશના નેગેબમાં રહેતા અરાદના કનાની રાજાએ ઇઝરાયલી લોકોના આવવા વિષે સાંભળ્યું. 
 ૪૧ તેઓએ હોર પર્વતથી નીકળીને સાલ્મોનામાં છાવણી કરી.  ૪૨ સાલ્મોનાથી નીકળીને તેઓએ પૂનોનમાં છાવણી કરી.  ૪૩ પૂનોનથી નીકળીને તેઓએ ઓબોથમાં છાવણી કરી. 
 ૪૪ ઓબોથથી નીકળીને તેઓએ મોઆબીઓની સરહદમાં આવેલા ઈયેઅબારીમમાં છાવણી કરી.  ૪૫ ઈયેઅબારીમથી નીકળીને તેઓએ દીબોનગાદમાં છાવણી કરી.  ૪૬ દીબોનગાદથી નીકળીને તેઓએ આલ્મોન દિબ્લાથાઈમમાં છાવણી કરી. 
 ૪૭ આલ્મોન દિબ્લાથાઈમમાંથી નીકળીને તેઓએ નબોની સામે આવેલા અબારીમના પર્વતો આગળ છાવણી કરી.  ૪૮ અબારીમના પર્વતોથી નીકળીને તેઓએ યરીખોની સામે યર્દન નદીના કિનારે આવેલા મોઆબના મેદાનોમાં છાવણી કરી.  ૪૯ તેઓએ યર્દનને કિનારે, બેથ-યશીમોથથી આબેલ-શિટ્ટીમ સુધી મોઆબના મેદાનમાં છાવણી કરી. 
 ૫૦ મોઆબના મેદાનોમાં યર્દનને કિનારે યરીખોની પાસે યહોવાહે મૂસાને કહ્યું,  ૫૧ “તું ઇઝરાયલી લોકોને કહે કે, 'જયારે તમે યર્દન પાર કરીને કનાન દેશમાં જાઓ,  ૫૨ ત્યારે તમારે દેશના બધા રહેવાસીને તમારી આગળથી કાઢી મૂકવા. તમારે તેઓની બધી કોતરેલી મૂર્તિઓનો નાશ કરવો. તેઓની બધી ગાળેલી મૂર્તિઓનો તથા તેમના ઉચ્ચસ્થાનોનો તમારે નાશ કરવો. 
 ૫૩ તમારે તે દેશનો કબજો લેવો અને તેમાં વસવાટ કરવો, કેમ કે, તે દેશ મેં તમને વતનને સારુ આપ્યો છે.  ૫૪ તમારે ચિઠ્ઠી નાખીને તે દેશ તમારા કુળ પ્રમાણે વહેંચી લેવો. વધારે સંખ્યા ધરાવતા કુળને વધારે વિસ્તાર ધરાવતા દેશનો ભાગ અને ઓછી સંખ્યા ધરાવતા કુળને ઓછો વિસ્તાર ધરાવતા દેશનો ભાગ વહેંચી આપવો. દરેક કુળના નામની ચિઠ્ઠી જ્યાં પડે તે પ્રદેશ તેને મળે. તમારા પિતૃઓના કુળો પ્રમાણે દેશનો વારસો તમને મળે. 
 ૫૫ પણ જો તમે તે દેશના રહેવાસીઓને તમારી આગળથી હાંકી નહિ કાઢો, તો તેઓમાંના જેઓને તમે રહેવા દેશો તેઓ તમારી આંખમાં કણીરૂપ અને તમારા પડખામાં કાંટારૂપ થઈ પડશે. જે દેશમાં તમે વસો છો ત્યાં તેઓ તમારા જીવનો પર દુઃખ લાવશે.  ૫૬ અને એવું થશે કે મેં તે લોકોની જે દશા કરવાનું ધાર્યું હતું તે હું તમારી સાથે કરીશ.'”