૧ હે મને ન્યાયી ઠરાવનાર મારા ઈશ્વર, જ્યારે હું તમને વિનંતિ કરું, ત્યારે તમે મને ઉત્તર આપજો;
સંકટને સમયે તમે મને છોડાવજો.
૨ હે મનુષ્યો, તમે ક્યાં સુધી મારા ગૌરવનું અપમાન કરશો?
તમે ક્યાં સુધી વ્યર્થતા ઇચ્છશો અને જૂઠાણું ચલાવશો?
સેલાહ
૩ પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાહે પોતાને માટે પસંદ કર્યો છે.
હું જ્યારે યહોવાહને વિનંતિ કરું, ત્યારે તે મારું સાંભળશે.
૪ તેમનાથી ભયભીત થાઓ, પણ પાપ ન કરો!
તમારા બિછાના પર પોતાના હૃદયમાં મનન કરો અને શાંત રહો.
સેલાહ
૫ ન્યાયીપણાના અર્પણોને અર્પિત કરો
અને તમારો ભરોસો યહોવાહ પર રાખો.
૬ ઘણા કહે છે, “કોણ અમને કંઈક સારું બતાવશે?”
યહોવાહ, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો.
૭ લોકોનું અનાજ તથા નવો દ્રાક્ષારસ વધવાથી તેઓને આનંદ થાય છે,
તે કરતાં વધારે આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે.
૮ હું શાંતિથી સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ,
કેમ કે, હે યહોવાહ, હું એકલો હોઉં તોપણ તમે મને સલામત અને સુરક્ષિત રાખો છો.