૨૭
૧ યહોવાહ મારા ઉધ્ધારનાર તથા પ્રકાશ છે;
હું કોનાથી બીહું ?
યહોવાહ મારા જીવનનું સામર્થ્ય છે;
મને કોનો ભય લાગે?
૨ જ્યારે દુરાચારીઓ અને મારા શત્રુઓ મારો સંહાર કરવા આવશે,
ત્યારે તેઓ ઠોકર ખાઈને નીચે પડશે.
૩ જો કે સૈન્ય મારી સામે છાવણી નાખે,
તોપણ હું મનમાં ડરીશ નહિ;
જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઊઠે,
તોપણ હું ઈશ્વર પર ભરોસો રાખીશ.
૪ યહોવાહ પાસે મેં એક વરદાન માગ્યું છે:
કે યહોવાહનું ઘર મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન મારું નિવાસસ્થાન થાય,
જેથી હું યહોવાહના સૌંદર્યનું અવલોકન કર્યા કરું
અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.
૫ કેમ કે સંકટના સમયે તેઓ મને પોતાના મંડપમાં ગુપ્ત રાખશે;
તે પોતાના મંડપને આશ્રયે મને સંતાડશે.
તે મને ખડક પર ચઢાવશે!
૬ પછી મારી આસપાસના શત્રુઓ પર મારું માથું ઊંચું કરવામાં આવશે
અને હું તેમના મંડપમાં હર્ષનાદનાં અર્પણ ચઢાવીશ!
હું ગાઈશ અને યહોવાહનાં સ્તોત્રો ગાઈશ!
 
૭ હે યહોવાહ, જ્યારે હું વિનંતી કરું, ત્યારે તે સાંભળો!
મારા પર દયા કરીને મને ઉત્તર આપો!
૮ મારું હૃદય તમારા વિષે કહે છે કે,
“તેમનું મુખ શોધો!” હે યહોવાહ, હું તમારું મુખ શોધીશ!
૯ તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ;
કોપ કરીને તમે તમારા સેવકને તજી દેશો નહિ!
તમે મારા સહાયકારી થયા છો;
હે મારા ઉદ્ધારનાર ઈશ્વર, મને દૂર ન કરો અને મને તજી ન દો!
૧૦ જો કે મારા માતાપિતાએ મને તજી દીધો છે,
તોપણ યહોવાહ મને સંભાળશે.
૧૧ હે યહોવાહ, મને તમારો માર્ગ શીખવો!
મારા શત્રુઓને લીધે
મને સરળ માર્ગે દોરી જાઓ.
૧૨ મને મારા શત્રુઓના હાથમાં ન સોંપો,
કારણ કે જૂઠા સાક્ષીઓ તથા જુલમના ફૂંફાડા મારનારા
મારી વિરુદ્ધ ઊઠ્યા છે!
૧૩ આ જીવનમાં હું યહોવાહની દયાનો અનુભવ કરીશ, એવો જો મેં વિશ્વાસ કર્યો ન હોત તો હું નિર્બળ થઈ જાત!
૧૪ યહોવાહની રાહ જો;
બળવાન થા અને હિંમત રાખ!
હા, યહોવાહની રાહ જો!