૩૨
૧ જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે,
તે આશીર્વાદિત છે.
૨ જેને યહોવાહ દોષિત ગણતા નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી,
તે આશીર્વાદિત છે.
૩ જ્યારે હું છાનો રહ્યો, ત્યારે આખો દિવસ
છાના રુદનથી મારાં હાડકાં જીર્ણ થયાં.
૪ કેમ કે રાતદિવસ તમારો હાથ મારા પર ભારે હતો.
જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઈ જાય છે, તેમ મારી શક્તિ હણાઈ ગઈ હતી.
સેલાહ
૫ મેં મારાં પાપ તમારી સમક્ષ કબૂલ કર્યાં
અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી.
મેં કહ્યું, “હું મારાં પાપો યહોવાહ સમક્ષ કબૂલ કરીશ.”
અને તમે મારાં પાપોની ક્ષમા આપી.
સેલાહ
૬ તે માટે જ્યારે તમે મળો ત્યારે તે સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે.
પછી જ્યારે ઘણા પાણીની રેલ ચઢે, ત્યારે તે તેને પહોંચશે નહિ.
૭ તમે મારી સંતાવાની જગ્યા છો; તમે મને મારા સંકટમાંથી ઉગારશો.
તમે મારી આસપાસ વિજયનાં ગીતો ગવડાવશો.
સેલાહ
૮ ક્યે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ.
મારી નજર હું તારા પર રાખીને તને બોધ આપીશ.
૯ ઘોડા તથા ખચ્ચર જેને કંઈ સમજણ નથી,
જેને કાબૂમાં રાખવા માટે ચોકડા તથા લગામની જરૂર છે,
નહિ તો તું જ્યાં લઈ જવા ચાહે ત્યાં તેઓ આવી ન શકે, માટે તેઓના જેવો અણસમજુ ન થા.
૧૦ દુષ્ટોને ઘણી તકલીફો સહન કરવી પડે છે
પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ તો તેમની કૃપાથી ઘેરાશે.
૧૧ હે ન્યાયીઓ, યહોવાહમાં આનંદ કરો તથા હરખાઓ;
હે શુદ્ધ હૃદયના માણસો, તમે સર્વ હર્ષના પોકાર કરો.