૪૬
૧ ઈશ્વર આપણો આશ્રય તથા સામર્થ્ય છે,
સંકટને સમયે તે હાજરહજૂર મદદગાર છે.
૨ માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય
જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, તોપણ આપણે બીહીએ નહિ.
૩ જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય
જો તેના ઊછળવાથી પર્વતો કાંપી ઊઠે, તોપણ આપણે બીહીએ નહિ.
સેલાહ
 
૪ ત્યાં એક નદી છે જેના ઝરણાંઓ ઈશ્વરના નગરને
એટલે પરાત્પરના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે.
૫ ઈશ્વર તેની વચમાં છે; તેને હલાવી શકાશે નહિ;
મોટી સવારે ઈશ્વર તેને મદદ કરશે.
૬ વિદેશીઓએ તોફાન મચાવ્યું છે અને રાજ્યો ડગમગી ગયાં;
તેમણે ગર્જના કરી એટલે, પૃથ્વી પીગળી ગઈ.
૭ આપણી સાથે સૈન્યોના સરદાર યહોવાહ છે;
આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે.
સેલાહ
 
૮ આવો યહોવાહનાં પરાક્રમો જુઓ,
તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે જુઓ.
૯ તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે;
તે ધનુષ્યને ભાંગી નાખે છે અને ભાલાને કાપી નાખે છે;
રથોને અગ્નિથી બાળી નાખે છે.
૧૦ શાંત રહો અને જાણો કે હું ઈશ્વર છું;
હું વિદેશીઓમાં મોટો મનાઈશ; હું પૃથ્વીમાં મોટો મનાઈશ.
૧૧ સૈન્યોના યહોવાહ આપણી સાથે છે;
યાકૂબના ઈશ્વર આપણા આશ્રય છે.
સેલાહ