૬૯
૧ હે ઈશ્વર, મારો બચાવ કરો;
કેમ કે મારા પ્રાણ સુધી પાણી ચઢી આવ્યું છે.
૨ હું ઊંડા કીચડમાં ડૂબી જાઉં છું, જ્યાં ઊભા રહેવાને પણ જગ્યા નથી;
હું ઊંડા પાણીમાં આવી પડ્યો છું, રેલ મારે માથે ફરી વળી છે.
૩ હું રડી રડીને નિર્બળ થઈ ગયો છું; મારું ગળું સુકાઈ ગયું છે;
મારા ઈશ્વરની રાહ જોતાં મારી આંખોનું તેજ ઘટી ગયું છે.
૪ જેઓ વિનાકારણે મારો દ્વેષ કરે છે, તેઓ મારા માથાના નિમાળા કરતાં વધારે છે;
જેઓ ગેરવાજબી રીતે મારો નાશ કરવા ઇચ્છનાર શત્રુઓ છે, તેઓ બળવાન છે;
જે મેં લૂંટી લીધું ન હતું, તે મારે પાછું આપવું પડ્યું છે.
૫ હે ઈશ્વર, તમે મારી મૂર્ખાઈ જાણો છો
અને મારાં પાપો તમારાથી છુપાયેલાં નથી.
૬ હે સૈન્યના પ્રભુ યહોવાહ, તમારી રાહ જોનારા મારે લીધે બદનામ ન થાઓ;
હે ઇઝરાયલના ઈશ્વર, મારે લીધે તમને શોધનારાઓનું અપમાન ન થાય.
૭ કેમ કે તમારે લીધે મેં મહેણાં સહન કર્યાં છે.
મારા મુખ પર શરમ પથરાયેલી છે.
૮ હું મારા ભાઈઓને પારકા જેવો
અને મારી માતાના પુત્રોને માટે પરદેશી જેવો થયો છું.
૯ કારણ કે તમારા ઘરનો ઉત્સાહ મને ખાઈ જાય છે
અને તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે.
૧૦ જ્યારે હું રડ્યો અને ઉપવાસ કરીને મારા આત્માને લીન કર્યો,
ત્યારે તેને લીધે મારી નિંદા થઈ.
૧૧ જ્યારે મેં ટાટનાં વસ્ત્ર પહેર્યાં,
ત્યારે તેઓમાં હું ઉપહાસરૂપ થયો.
૧૨ જેઓ નગરના પ્રવેશદ્વારે બેસે છે, તેઓ મારા વિષે વાતો કરે છે;
છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે.
૧૩ પણ, હે યહોવાહ, હું તમારી પ્રાર્થના કરું છું, માન્યકાળમાં તમારી ઘણી કૃપાએ;
તમારા ઉદ્ધારની સત્યતાએ મને ઉત્તર આપો.
૧૪ મને કીચડમાંથી કાઢો અને મને ડૂબવા ન દો;
જેઓ મને ધિક્કારે છે તેઓથી મને દૂર રાખો અને પાણીના ઊંડાણમાંથી મને ખેંચી કાઢો.
૧૫ પાણીની રેલ મને ન ડુબાડો,
ઊંડાણ મને ગળી ન જાઓ.
કબર મારા પર તેનું મુખ બંધ ન કરો.
૧૬ હે યહોવાહ, મને જવાબ આપો, કેમ કે તમારી કૃપા ઉત્તમ છે;
કેમ કે તમારી કૃપા ઘણી છે, મારી તરફ ફરો.
૧૭ તમારું મુખ તમારા આ દાસથી છુપાવશો નહિ,
કેમ કે હું સંકટમાં છું; મને જલદીથી ઉત્તર આપો.
૧૮ મારા આત્મા પાસે આવીને તેને છોડાવો;
મને મારા શત્રુઓથી મુક્ત કરો.
૧૯ તમે મારી શરમ, મારું અપમાન તથા મારી નિંદા જાણો છો;
મારા સર્વ શત્રુઓ તમારી આગળ છે.
૨૦ નિંદાએ મારું હૃદય ભાંગ્યું છે; હું મરણતોલ થયો છું;
મેં કરુણા કરનારની રાહ જોઈ, પણ ત્યાં કોઈ નહોતું;
મેં દિલાસો આપનારની રાહ જોઈ, પણ મને ત્યાં કોઈ મળ્યું નહિ.
૨૧ તેઓએ મને ખોરાકને માટે પિત્ત આપ્યું છે;
મને તરસ લાગતાં તેઓએ સરકો પીવડાવ્યો.
૨૨ તેઓનું ભોજન તેઓને માટે ફાંદારૂપ થાઓ;
જ્યારે તેઓ વિચારે છે કે અમે સુરક્ષિત છીએ, ત્યારે તે ફાંદારૂપ થાઓ.
૨૩ તેઓની આંખો એવી ઝાંખી થાઓ કે તેઓ જોઈ ન શકે;
અને તેઓની કમરો નિત્ય કાંપે.
૨૪ તેઓના ઉપર તમારો કોપ વરસાવો
અને તમારો ક્રોધાવેશ તેઓને પકડી પાડો.
૨૫ તેઓની જગ્યા ઉજ્જડ થાઓ;
તેઓના તંબુમાં કોઈ ન રહો.
૨૬ કારણ કે જેને તમે શિક્ષા કરી છે તેઓ તેની પાછળ પાડીને તેને પકડે છે;
જેને તમે ઘાયલ કર્યો છે તેના દુ:ખની વાત કરીને તેઓ ખુશ થાય છે.
૨૭ તમે તેઓના અન્યાય પર અન્યાય વધવા દો;
તેઓને તમારા ન્યાયપણામાં આવવા ન દો.
૨૮ જીવન પુસ્તકમાંથી આ લોકોનાં નામ ભૂંસી નાખો
અને ન્યાયીઓની સાથે તેઓનાં નામ નોંધાય નહિ.
૨૯ પણ હું તો ગરીબ તથા દુઃખી છું;
હે ઈશ્વર, તમારા દ્વારા મળતો ઉદ્ધાર મને ઊંચો કરો.
૩૦ હું ગીત ગાઈને ઈશ્વરના નામનું સ્તવન કરીશ
અને આભાર માનીને તેમના નામની સ્તુતિ કરીશ.
૩૧ તે સ્તુતિ બળદના કરતાં
અથવા શિંગડાં તથા ખરીવાળા બળદ કરતાં પણ યહોવાહને વધારે પસંદ પડશે.
૩૨ નમ્રજનો તે જોઈને આનંદ પામ્યા છે;
હે ઈશ્વરને શોધનારાઓ, તમારા હૃદયો નવું જીવન પામો.
૩૩ કારણ કે યહોવાહ દરિદ્રીઓનું સાંભળે છે
અને તે પોતાના બંદીવાનોને તુચ્છ ગણતા નથી.
૩૪ આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો,
સમુદ્રો તથા તેમાંનાં સર્વ જળચર તેમની સ્તુતિ કરો.
૩૫ કારણ કે ઈશ્વર સિયોનને ઉદ્ધાર કરશે અને યહૂદિયાના નગરોને બાંધશે;
લોકો તેમાં વસશે અને તેનું વતન પામશે.
૩૬ તેમના સેવકોના વંશજો તેનો વારસો પામશે;
અને જેઓ તેમના નામ પર પ્રેમ રાખે છે તેઓ તેમાં વસશે.