૯૨
૧ યહોવાહની સ્તુતિ કરવી
અને હે પરાત્પર તમારા નામનાં સ્તોત્ર ગાવાં, તે સારું છે.
૨ સવારે તમારી કૃપા
અને રાત્રે તમારું વિશ્વાસુપણું પ્રગટ કરો.
૩ દશ તારવાળાં વાજાં સાથે
અને સિતાર સાથે વીણાના મધુર સ્વરથી તેમની સ્તુતિ કરો.
૪ કેમ કે, હે યહોવાહ, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે.
તમારા હાથે થયેલાં કામને લીધે હું હર્ષનાદ કરીશ.
૫ હે યહોવાહ, તમારાં કૃત્યો કેવાં મહાન છે!
તમારા વિચારો બહુ ગહન છે.
૬ અજ્ઞાની માણસ તે જાણતો નથી,
મૂર્ખ પણ તે સમજી શકતો નથી.
૭ જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે
અને જ્યારે સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે,
ત્યારે તે તેઓનો સર્વકાલિક નાશ થવાને માટે છે.
૮ પણ, હે યહોવાહ, તમે સર્વકાળ રાજ કરશો.
૯ તેમ છતાં, હે યહોવાહ, તમારા શત્રુઓ તરફ જુઓ;
સર્વ દુષ્ટો વિખેરાઈ જશે.
૧૦ તમે મારું શિંગ જંગલી બળદના શિંગ જેવું ઊંચું કર્યું છે;
તાજા તેલથી મારો અભિષેક કરવામાં આવ્યો છે.
૧૧ મારા શત્રુઓને મારી ઇચ્છા પ્રમાણે થયેલ મેં મારી નજરે જોયું છે;
મારી સામે ઊઠનારા દુષ્કર્મીઓને મારી ઇચ્છા પ્રમાણે ફળ મળ્યું એ મેં મારે કાને સાંભળ્યું છે.
૧૨ ન્યાયી માણસ તાડના વૃક્ષની જેમ ખીલશે;
તે લબાનોનના દેવદારની જેમ વધશે.
૧૩ જેઓને યહોવાહના ઘરમાં રોપવામાં આવેલા છે;
તેઓ આપણા ઈશ્વરનાં આંગણામાં ખીલી ઊઠશે.
૧૪ વૃદ્ધાવસ્થામાં પણ તેઓ ફળ આપશે;
તેઓ તાજા અને લીલા રહેશે.
૧૫ જેથી પ્રગટ થાય કે યહોવાહ યથાર્થ છે.
તે મારા ખડક છે અને તેમનામાં કંઈ અન્યાય નથી.